મિત્રો - ભરતી નજીકના સમયમાં ખુલવાની છે તેમાં કોઈજ શંકા નથી.કારણકે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ત્યાં કોઈ ખેડૂત - ડ્રાઈવર - દરજી - સોની - ધોબી - વેપારી - સરપંચ - તલાટી - દાક્તર -કોંટ્રાક્ટર કે એંજિનિયર આવીને ભણાવવાના નથી અને ભણાવી પણ ન શકે. શિક્ષક વિના અસરકારક શિક્ષણ શક્ય નથી. અને તેથી જ તો ભરતી થશે થશે અને થશેજ.
ધારોકે નજીકના ભવિષ્યમાં એટલેકે એકાદ અઠવાડિયામાં ભરતી મેરીટ ન જાહેર થાય તો લડતની જરૂર છે.કારણકે ૨૧ મી સદીમાં જ્યારે ઓફિસોમાં કમ્પ્યૂટરનો ઉપયોગ થયો છે અને ઓનલાઈન ભરતી થઈ રહી છે ત્યારે ગાંધીના આ વાઈબ્રન્ટ ગુજરાતમાં ફોર્મ ભર્યા પછી ત્રણ માસ થયા હોવા છતાં મેરીટ જાહેર ન થાય તે હાસ્યાસ્પદ છે. હજારો શિક્ષિત બેરોજગારો નોકરીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વર્ગખંડો શિક્ષકો વિના સૂના છે. નવા વર્ગોની લ્હાણી કરી છે - વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો વિના વર્ગોમાં શિક્ષણકાર્ય અસરકારક થઈ શકે નહિ તે વાસ્તવિક સત્ય છે.
દુ:ખ સાથે કહેવું પડે છે કે ઘણી જગ્યાએ ધોરણ ૧૧ - ૧૨ વિજ્ઞાન પ્રવાહોના વર્ગા મંજૂર થયા છે વિદ્યાર્થીઓ છે પરંતુ એક પણ શિક્ષકો નથી. શિક્ષકો વિના ભાવિ દાક્તરો તથા એંજિનિયરો તૈયાર થઈ રહ્યા છે. ભરતી સત્વરે કરવા માટે નીચેના પગલા ભરી શકાય ...
મિત્રો લડત માટે નીચેના પગલાં ભરી શકાય .
1. વારંવાર પ્રેસનોટ સમાચારપત્રોમાં આપો. પ્રશ્નને જીવિત રાખો.
2. જિલ્લા મથકોએ સમાચારપત્રોમાં જાહેરખબર આપી એકાદ અઠવાડિયામાં કોઈક બગીચામાં એકઠા થઈ આગામી જલદ કાર્યક્રમો માટે સંગઠન બનાવો. ઉમેદવારોના મોબાઈલ નંબરની યાદી બનાવો. અને જિલ્લા કક્ષાએ એક સાથે આયોજન કરી કલેક્ટર તથા ડી.ઈ.ઓ ને આવેદનપત્ર આપો.
3. ત્યારબાદ રાજ્યકક્ષાએ પ્રશ્નને જીવિત કરવા ગાંધીનગર રેલીનું આયોજન કરી શકાય. પત્રકારોને બોલાવી સફળ રેલીના સમાચાર અપાવો.
4. જરૂર પડેતો ભૂખ હડતાળની ચિમકી આપી છેલ્લે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉપાડી શકાય.
5. મિત્રો - કોઈજ રાજકીય પક્ષના હાથા બની પ્રશ્નને ચગાવતા નહિ કારણકે તેમાં પક્ષોના અહમને લીધે પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ સમસ્યા લંબાય છે.